પ્રશ્ન: હું ૨૯ વરસનો અપરિણીત યુવક છું. સારા વ્યાવસાયિક પરિવારમાંથી આવું છું. જાતે પણ આત્મનિર્ભર છું. આજકાલ હું એકતરફી પ્રેમનાં દુ:ખદ પરિણામો ભોગવી રહ્યો છું. હું મારા પાડોશમાં રહેતી છોકરી, જે મારાથી ૧૦ વર્ષ નાની છે તેને પ્રેમ કરવા લાગ્યો હતો.
તેના હાવભાવ અને ઇશારાથી મારી હિંમત બંધાઈ અને મેં તેને પ્રણય સંદેશ મોકલી આપ્યો, જેનો તેણે બહુ ખરાબ રીતે અસ્વીકાર કરી દીધો. જો તેને મારી સાથે દોસ્તી નહોતી કરવી તો મને આકર્ષિત કરવાના પ્રયત્નો કેમ કરતી રહી? તેના ઇનકારથી હું તૂટી ગયો છં. કામમાં મન લાગતું નથી. શું કરું? તેને કેવી રીતે ભૂલું?
ઉત્તર: બની શકે કે તે છોકરીને સમજવામાં તમારી ભૂલ થઈ હોય. તમારે તેના તરફના માત્ર આકર્ષણથી દિલ નહોતું લગાવવું જોઈતું. તમે તેને ભૂલવાનો પ્રયત્ન કરો તો વધારે સારું રહેશે. તેમાં થોડો સમય લાગશે. તમે લગ્ન કરવા યોગ્ય છો. સારી છોકરી સાથે લગ્ન કરી લો. ઘરસંસારમાં ડૂબી જશો એટલે તેની યાદ ઓછી થઈ જશે.
પ્રશ્ન : મારો દીરો બેન્ક તરફથી ત્રણ વર્ષ માટે પરદેશ જઈ રહ્યો છે. હું ઇચ્છું છું કે તેનાં લગ્ન કરી નાખું. તેના માટે સારાં સારાં ઘરોનાં માંગા આવી રહ્યાં છે. ઓછામાં ઓછું લગ્ન થયા પછી તેની પત્ની તો અમારી પાસે રહેશે ને. આથી તે કોઈ પરદેશી છોકરી સાથે લગ્ન પણ નહીં કરી શકે, કારણ કે અમારા સંબંધીના જેટલા પણ છોકરા પરદેશ ગયા છે. તેઓએ ત્યાં ઘર વસાવી લાધાં છે. પરંતુ અમે અમારો દીકરો ગુમાવવા નથી માગંતા. શું અમારી યોજના સાચી છે? છોકરો લગ્ન માટે હજુ માનતો નથી. હું શું કરું?
ઉત્તર: તમારો દીકરો હજુ લગ્ન કરવા નથી ઇચ્છતો તો તમે બળજબરી ના કરો. તે ક્યાંક પરદેશમાં લગ્ન ના કરી લે એટલે તેનાં લગ્ન કરી દેવા માંગો છો કે પછી તેની પત્નીને મન ખુશ રાખવાને માટે તમારી પાસે રાખવા માંગો છો, આવું વિચારવું યોગ્ય નથી. લગ્ન પછી છોકરી પતિની જુદાઈ સહન કરે અને ક્યાંક તમારા છોકરાને ત્યાં મન મળી ગયું તો તે છોકરી શું કરશે? એટલે સ્વાર્થ રાખ્યા વિના વિચારો. લગ્ન ત્યારે કરો, જ્યારે તમારો દીકરો માનસિક રીતે તેના માટે રાજી હોય.
પ્રશ્ન: મારાં લગ્નને ચાર વર્ષ થયાં છે. એક દીકરો છે. હું મારા લગ્નજીવનમાં બહુ ખુશ છું, પરંતુ પતિની દારૂ પીવાની ટેવ છોડાવવાની ઇચ્છા હોવા છતાં હું નથી છોડાવી શકતી. દિવસે તે વાયદો કરે છે કે તેઓ દારૂ નહીં પીએ. પરંતુ રાત પડતાં કાબૂ રાખી શકતા નથી. શું કરું? એકવાર ખૂબ બીમાર થઈ ગયા હતા. ડોકટરે પણ ચેતવમી આપી કે દારૂ છોડી દો પણ તેઓ છોડી નથી શકતા. મેં છાપામાં જાહેરાત વાંચી હતી કે દારૂ છોડવાની અસરકારક દવા છે. શું તે અસરકારક હશે?
ઉત્તર: તમે ભરમાવે એવી જાહેરાતોને બદલે કોઈ સરકારી નશા મુક્તિ કેન્દ્રમાં તમારા પતિને દાખલ કરાવો. તેમની દારૂ પીવાની ટેવ છૂટી જશે. તેના માટે તમારે પણ તેમને બધી રીતે સહકાર આપવો પડશે.
પ્રશ્ન: હું ૨૩ વર્ષની પરણેલી યુવતી છું. મારાં માબાપની મરજી વિરુદ્ધ મેં મારા પ્રેમી સાથે પાંચ વર્ષ પહેલાં મંદિરમાં લગ્ન કર્યાં છે. જ્યારે હું ગર્ભવતી બની ત્યારે સમાજના રીતરિવાજ મુજબ મેં લગ્ન કરવા કહ્યું ત્યારે તેણે ના કહી અને મારો ગર્ભપાત કરાવાયો. ફરીવાર માતા બનવાનો મોકો આવતાં તે મને છોડીને ચાલ્યો ગયો અને મને કહ્યું કે તેને ભૂલી જાઉં.
હું સરકારી નોકરી કરું છું અને એકલી રહું છું. મારાં માબાપને મારાં કરતાં મારા પૈસામાં વધુ રસ છે. તો મારે જવું ક્યાં? કશું સમજાતું નથી. બે વાર ઊંઘની ગોળીઓ લઈ મરવાનો નિષ્ફળ પ્રયાસ કરી ચુકી છું.
ઉત્તર: મંદિરમાં ગુપચુપ રીતે લગ્ન કરવાનું નાટક કરી તમારા પ્રેમી (પતિ)એ તમારો ગેરફાયદો ઉઠાવ્યો છે. તમે ખોટી વ્યક્તિને એવા સમયે પસંદ કરી જ્યારે તમે આટલો ગંભીર નિર્મય લેવાને લાયક ન હતાં. હવે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરીને તમે બીજી ભૂલ કરી રહ્યાં છો. કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આત્મહત્યા નથી. તમારી સાથે તમારું બાળક પણ છે.
એટલે આ રીતે મૂર્ખાઈભરેલું કામ કરવાનું વિચારશો પણ નહીં. તમે તમારાં માબાપને કહો કે તે તમારા માટે સારું ઠેકાણું શોધે અને તમે ફરીવાર ઘર વસાવી લો. તમારી સામે લાંબુ જીવન છે. સાથે બાળકને પણ ઉછેરવાનું છે.