શ્રીલંકામાં રાવણ વિશ્વનો પ્રથમ એવિએટર એટલે કે વિમાન ચાલક હોવાની એક મુહિમ છેડાઈ છે. આ અંગે શ્રીલંકાની સરકારે દેશવાસીઓને અપીલ કરી છે કે, તેઓ રાવણ સાથે જોડાએલા દસ્તાવેજોને શેરક કરે. શ્રીલંકામાં અખબારોમાં શ્રીલંકન પ્રવાસન વિભાગ તરફથી આ અંગે જાહેરાત પણ આપવામાં આવી છે. જો કોઈ દેશવાસી પાસે રાવણ અંગેના કોઈ પણ દસ્તાવેજ કે માહિતી કે પુસ્તક અગર કોઈપણ ચીજ હોય તો તે સરકારને આપી તે અંગે સહાય કરવા વિનંતી કરી છે. શ્રીલંકાની સરકારે રાવણ દુનિયાનો પ્રથમ પાયલોટ હતો તે અંગે ઐતિહાસિક રિસર્ચ અને પુરાવાઓ ભેગા કરવાનું સર્ચ અભિયાન હાથ ધર્યુ છે.
શ્રીલંકાએ પોતાના પ્રથમ સેટેલાઈટને આપ્યુ રાવણનું નામ
શ્રીલંકાએ તાજેતરમાં જ એક સેટેલાઇટ લૉન્ચ કર્યો છે જેનું નામ રાવણ આપવામાં આવ્યું છે. આ શ્રીલંકાનું પ્રથમ સ્પેસ મિશન છે.
5000 વર્ષ પહેલા ઉડ્યુ હતુ વિમાન
હાલ શ્રીલંકન સરકાર આ અંગે શોધ-સંશોધન કરી રહી છે ત્યારે શ્રીલંકાની સરકારનું માનવું છે કે રાવણ વિશ્વનો પ્રથમ વિમાનચાલક હતો જેણે 5000 વર્ષ પહેલા વિમાન ઉડાવ્યું હતું. શ્રીલંકાનું નાગરિક ઉડ્ડયન ઓથોરિટી હવે આ પહેલા લૉન્ચ કરીને એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે પૌરાણિક સમયમાં વિમાન ઉડાડવા માટે કેવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પુષ્પક વિમાન રાવણે ઉડાડ્યુ હોવાનું શ્રીલંકન સરકાર માની રહી છે.
આગામી પાંચ વર્ષમાં અમે તે સાબિત કરીને રહીશું: ઉડ્ડયન વિભાગ
શ્રીલંકાના નાગરિક ઉડ્ડયન ઓથોરિટીના વાઇસ પ્રેસિડન્ટ શશી દનાતુંગનું કહેવું છે કે, તેમની પાસે અકલ્પનીય તથ્યો છે જેનાથી પુરવાર થાય છે કે રાવણ વિશ્વનો પહેલી વિમાનચાલક હતો જેણે એક એરક્રાફ્ટ ઉડાવ્યું હતું. તેઓએ જણાવ્યું કે, રાવણ પ્રતિભાશાળી હતો. તે પહેલી વ્યક્તિ હતી જેણે વિમાન ઉડાવ્યું. તે પહેલો વિમાનચાલક હતો. આ કોઈ પૌરાણિક કથા નથી. આ હકિકત છે. તેના પર ઊંડાણપૂર્વકનું રિસર્ચ થવું જોઈએ. આગામી પાંચ વર્ષમાં અમે તે સાબિત કરીને રહીશું.
નોંધનીય છે કે, ગયા વર્ષે શ્રીલંકામાં નાગરિક ઉડ્ડયન એક્સપર્ટ, ઈતિહાસકારો, પુરાતત્વવિદ, વૈજ્ઞાનિકોની એક કોન્ફરન્સ મળી હતી. તે કોન્ફરન્સના અંતે એવા તારણ પર આવ્યા હતા કે રાવણ 5 હજાર વર્ષ પહેલા વિમાન લઈને શ્રીલંકાથી ભારત ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા હતા.