હું ૨૫ વર્ષની વિવાહિત છું. સમાગમ પછી યોનિમાંથી સ્ત્રાવ થવાની સમસ્યાને કારણે હું ઘણી પરેશાન છું. ઘણી વાર તો સહવાસ વગર પણ પાણી આવે છે. શું આ કોઈ બીમારીનો સંકેત છે?
* સહવાસ પછી સ્ત્રાવ થવો એ સામાન્ય છે. આ વીર્ય તેમજ તમારા યોનિમાર્ગમાં વિભિન્ન ગ્રંથિઓના સ્ત્રાવને કારણે પાણી પડે છે. સહવાસ વગર પણ આમ થઈ શકે છે. માસિક ચક્રની વચ્ચે ઈંડુ નીકળતા પહેલા અથવા તો માસિક શરૂ થતા પહેલા સ્ત્રાવ થાય છે. આ સ્ત્રાવમાંથી દુર્ગંધ આવતી હોય તો આ એક બીમારી હોઈ શકે છે. આમ હોય તો તમારે કોઈ નિષ્ણાતની સલાહ લેવાની જરૂર છે. ચિંતા કરવાની જરૂર નથી. યોગ્ય ઈલાજ પછી આ ઠીક થઈ જશે.
હું ૨૮ વર્ષની છું. લગ્ન પહેલા મને હસ્તમૈથુન કરવાની આદત હતી. આ આદત હવે છૂટી ગઈ છે. મારા લગ્નને અઢી વરસ થઈ ગયા છે. પરંતુ અત્યાર સુધી મને સંતુષ્ટિનો અહેસાસ થયો નથી. શારીરિક રીતે હું નબળી છું. દોઢ વર્ષની એક પુત્રી છે. મારે શું કરવું એ જણાવવા વિનંતી.
* સ્વાસ્થ્ય પર હસ્તમૈથુનની કોઈ અવળી અસર થતી નથી. આથી આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. તમારી કમજોરી પાછળ બીજા કારણો હોઈ શકે છે. ખાવા-પીવામાં કોઈ ઉણપ અથવા કોઈ શારીરિક રોગ આ પાછળ જવાબદાર હોઈ શકે છે. તમારે પૌષ્ટિક અને સમતોલ આહાર લેવાની જરૂર છે. દૂધ, દહીં, પનીર, લીલા શાકભાજી, ફળોનો આહારમાં સમાવેશ કરો. તેમજ નિયમિત વ્યાયામ કરો. ડૉક્ટરની સલાહ લો. સેક્સમાં સંતુષ્ટિ માટે એકબીજા પ્રત્યે પ્રેમ, સહયોગ જરૂરી છે તેમજ સહવાસ દરમિયાન ચિંતારહિત રહો. તમે કોઈ સેક્સોલોજીસ્ટની સલાહ પણ લઈ શકો છો.
હું ૩૫ વર્ષનો છું. મારી પુત્રી આઠ મહિનાની છે. સુવાવડ પછી મારી પત્નીની સેક્સમાં રૂચિ ઘણી ઓછી થઈ ગઈ છે. આ કારણે મારો સ્વભાવ ચીડચીડો થઈ ગયો છે અને હું ઘણો પરેશાન છું. યોગ્ય સલાહ આપશો.
* સંતાનના જન્મ પછી એકાદ વરસ સુધી સ્ત્રીઓ તેના સંતાનના ઉછેરમાં વ્યસ્ત થઈ જતી હોવાને કારણે તેમની પાસે બીજી કોઈ વસ્તુ માટે સમય કે તાકાત રહેતી નથી અને આમા પતિ અને સેક્સનો પણ સમાવેશ થાય છે. તમારે આની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ તમારી પત્નીને ટેકો આપવાની જરૂર છે. તમે કોઈ પોઝિટિવ એક્શન લઈ તેને આ માટે તૈયાર કરી શકો છો. તેને થોડો આરામ મળે એવો પ્રયાસ કરો. તેને ખુશ રાખો અને બીજી વાતમાં રસ લેતી કરો. ચિંતા કરવાની જરૂર નથી. ધીરે ધીરે બધુ ઠીક થઈ જશે.
મારી ખાસ બહેનપણી સાથે મારી બાળપણથી મૈત્રી છે. મારા પ્રેમ લગ્ન છે જ્યારે એના લગ્ન એના માતા-પિતાએ ગોઠવ્યા હતા. તેનો પતિ ઘણો સ્વાર્થી તેમજ મારી બહેનપણીનો ગેરલાભ લેતો હોય એમ મને લાગે છે. ઘણી વાર મારી બહેનપણીને તેનું સ્વમાન જાળવવા માટે અવાજ ઉઠાવવાની સલાહ આપવાનું મને મન થાય છે. પરંતુ તેને ખરાબ લાગશે અને આની અસર અમારી મૈત્રી પર પડશે એ ડરે હું તેને કહેતી નથી. મારે શું કરવું એ જણાવવા વિનંતી.
* તમારા પત્ર પરથી તમારી સમસ્યાનો જવાબ તમે જાણો જ છો. તમારી બહેનપણીના જીવનને તમે તમારા હાથમાં લઈ શકો નહીં. શક્ય છે તમને ભ્રમ થયો હોય અને એમ હોય તો તમારી બહેનપણી તેના વર્તન સાથે અનુકૂળ થઈ ગઈ હશે અને તેને આ વાતની કોઈ ચિંતા નહીં હોય. તમને આ વાતની ચિંતા છે એની તમારી બહેનપણીને ગંધ આવવા દેતા નહીં. હા, તેને એટલું જરૂર કહો કે જરૂર પડયે તમે તેની પડખે છો. પતિ-પત્નીની સમસ્યામાં વચ્ચે પડવાને બદલે તેઓ તેમની રીતે જ સમાધાન કરે એ યોગ્ય છે.