પ્રશ્ન : હું ઇન્ટરમીડિએટની વિદ્યાર્થીની છું. ગયા વર્ષે મારા પિત્તાશયનું ઑપરેશન થયું. તે પહેલાં મોટા આંતરડાનું ઑપરેશન થયું હતું. શું આ ઑપરેશનોની મારા દામ્પત્યજીવન પર તો કોઈ અસર નહીં થાય ને? ઑપરેશનને લીધે મારા પેટ પર નિશાન રહી ગયાં છે. ક્યાંક આ કારણસર મારા પતિ મારા પ્રત્યે શંકા તો નહીં કરે? – એક કન્યા (ગાંધીનગર)
ઉત્તર : આ ઑપરેશનથી તમારા દામ્પત્યજીવન પર કોઈ અસર નહીં થાય, પણ જો તમારાં કુટુંબીજનો લગ્નસંબંધ વિશે વાત ચલાવે, ત્યારે વર પક્ષથી કંઈ ન છુપાવે તો. પહેલેથી જ પરિસ્થિતિ અંગે ખુલાસો કરી દેવાથી શંકાની સંભાવના જ નહીં રહે.
પ્રશ્ન : હું ૨૧ વર્ષની યુવતી છું. મારા આગળના ચાર દાંત વાંકાચૂંકા છે. જેના કારણે હું કાયમ લઘુતાગ્રંથિ અનુભવું છું. ખુલ્લી રીતે હસી શકતી નથી. શું કોઈ એવો ઈલાજ છે કે દાંતને યોગ્ય સ્થિતિમાં લાવી શકાય? આ માટે શું કરવું જોઈએ?
ઉત્તર : તમારા આગળના દાંત માટે દાંતના ડૉક્ટરને મળો કે જે ઓર્થોડેન્ટિસ્ટ હોવા જોઈએ. તે બ્રેસીસની મદદથી ટેન્શનયુક્ત તારનો ઉપયોગ કરી પહેલાં દાંતને યથાસ્થાને લાવશે ત્યારબાદ નવી જગ્યા પર બળપૂર્વક લાવવા માટે તેને રિટેનર ડિવાઈસથી રોકી રાખશે. આ સારવાર માટે દોઢથી બે વરસનો સમય લાગશે. આશરે એક હજાર રૂપિયાનો ખર્ચ થશે.
પ્રશ્ન : હું ૨૬ વર્ષની ગૃહિણી છું. પંદર મહિનાની પુત્રીની માતા છું. હજુ તેને સ્તનપાન કરાવું છું. મારી મૂંઝવણ મારા સ્તનની છે. તે વધુ પડતાં મોટાં થઈ ગયાં છે. બાળકીને સ્તનપાન કરાવ્યા પછી વધુ ઢીલાં પડી ગયાં છે તથા લચી પડયાં છે. તેના બેડોળ થવાથી હું શરમ અનુભવું છું. કોઈ દવા અથવા કસરત છે જે સ્તનની બેડોળતા સુધારી શકે? ડિલિવરી પછી પેટ પર નિશાન પડી ગયાં છે. લગ્નને હજુ માત્ર ત્રણ વર્ષ જ થયાં છે. મને ચિંતા સતાવી રહી છે.
ઉત્તર : સ્ત્રીનું શરીર માતા બનવાથી ઘણા પરિવર્તનમાંથી પસાર થાય છે. સ્તનના આકારમાં વૃદ્ધિ થાય છે. તેના દેખાવમાં પણ ફેરફાર થાય છે. પેટ પર નિશાન ઊપસી આવે છે. જ્યાં સુધી માતા બાળકને સ્તનપાન કરાવે છે, સ્તનમાં દૂધ રહેવાથી પણ સ્તન મોટાં દેખાય છે. આવાં કેટલાંક પરિવર્તનનો તમારે સ્વીકાર કરવો જ રહ્યો. પેટ પર પડેલાં નિશાન દૂર કરવા માટે તમારે કેટલાક મહિના વિટામિન-ઈ યુક્ત કોઈ ક્રીમ લગાવવું જોઈએ. નિશાન આછાં થઈ જશે. સ્તનના આકારને લઈને મૂંઝાશો નહીં. કોઈ દવા કે કસરત તેમાં ફેરફાર નહીં કરાવી શકે.
પ્રશ્ન : હું અને મારી પત્ની અત્યાર સુધી બટાટા નહોતાં ખાતાં અને હવે ખાવાનું શરૂ કર્યું છે. હમણાં હમણાં અમારો સમાગમ લાંબો ચાલે છે અને આનંદ વધુ આવે છે. શું આ બટાટાને આભારી હશે? એક ભાઈ (મુંબઈ)
ઉત્તર : બિલકુલ નહીં… બટાટામાં એવું કોઈ જ સત્ત્વ નથી જે સેક્સટોનિકની ગરજ સારી શકે. બટાટાએ કંદમૂળ છે અને આયુર્વેદની દ્રષ્ટિએ વાતવર્ધક છે. લાંબા ગાળે બટાટાના નિયમિત અને વધુ માત્રાના સેવનથી એ નુકસાનકારક નીવડી શકે પણ ફાયદાકારક તો ચોક્કસ નહીં. ઘણીવાર બટાટાનો આકાર અંડકોશને મળતો આવતો હોવાથી લોકોમાં એવી ભાવના પ્રવર્તતી હોય છે કે આમાં પણ હોર્મોન વધારવાની જડીબુટ્ટી છૂપાયેલી હશે. આવી ભ્રામક ભાવના ઈંડા, કાંદા વગેરે માટે પણ પ્રવર્તે છે. પરંતુ તેમાં કોઈ તથ્ય નથી.
પ્રેમ અને પરણવાને કારણે કોઈ સીધો સંબંધ ખરો? એક યુવક (અમદાવાદ)
પ્રેમ અને પરણવાને કોઈ સીધો સંબંધ નથી. પ્રેમ થવો એ સહેલું છે પણ નિભાવવો મુશ્કેલ છે. લગ્ન કરવાં એ સહજ છે પણ પચાવવા તેજ છે. પ્રેમ હોય તો પરણી શકાય અને પણ્યા હો તો પણ પ્રેમ કરી શકાય. પ્રેમ એ વિવેચનનો નહીં પણ સંવેદનાનો વિષય છે. તુષાર શુકલએ બહુ સુંદર લખ્યું છે કે ‘પ્રેમ એ અવસ્થા છે અને પરણવું એ વ્યવસ્થા છે.’